Press Note Guj 14/09/2015 Al-Khokha Port – Yemen
Click here to view/download press note.
અખબારીયાદી તા.૧૪.૦૯.૨૦૧૫
યમન ખાતેના અલખોખા પોર્ટ (બંદર) ખાતે તાજેતરમાં ગુજરાતના બે વહાણ (જહાજ)ના ઉપર બોમ્બમારો કરીને તેમને સળગાવી દેવમાં આવ્યા છે. આ જહાજોમાં ગુજરાતના ક્રુ મેમ્બર હતા તે પૈકી ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને તેમાંથી ત્રણ શબ મળતા તેની દફન વિધિ કરવામાં આવી છે. આ જ બંદર પર અન્ય બીજા પાંચ જહાજો હજુ પણ ભયના ઓથાર નીચે અને બોમ્બમારાની વચ્ચે ફસાઈને પડ્યા છે. આ પાંચ જહાજોમાં મોટાભાગના ગુજરાતના કચ્છ જીલ્લાના અને જામનગર જીલ્લાના વિવિધ જ્ઞાતિ અને વિવિધ ધર્મના લોકો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા ના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કેન્દ્રના વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને વિનંતી કરી છે કે, યમન ખાતેના અલખોખા પોર્ટ પર જે ગુજરાતીઓ ફ્સાયા છે તેમને તાત્કાલિક બચાવી લેવામાં આવે અને તેમને પુરતી મદદ પહોચાડવામાં આવે. ગંભીર રીતે ઘવાયેલા કેટલાક ગુજરાતી ક્રુ મેમ્બર અત્યંત કરુણ હાલતમાં યમન ખાતે છે તેમને પુરેપુરી સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવે અને પુરતી સારવાર સાથે દેશમાં પરત લાવવાની વ્યવસ્થા તાત્કાલિક થાય તે જરૂરી છે. ફસાયેલા પાંચ જહાજો પૈકી બે જહાજ દુબઈના છે પરંતુ તેમા પણ ક્રુ મેમ્બર ગુજરાતીઓ જ છે અને માટે ગુજરાતના આ અત્યંત મુશ્કેલીમાં મુકાયેલા લોકોને કેન્દ્ર સરકારે તાત્કાલિક મદદ કરવાની જરૂરીયાત છે.
યમન ખાતે ગુજરાતના જે નિર્દોષ વ્યક્તિઓને વિનાકારણે મારી નાખવામાં આવ્યા છે તેઓને પુરતો ન્યાય અપાવવા માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. જે ૭૦ જેટલી વ્યક્તિઓ હાલ યમન ખાતે નિ:સહાય બનીને ખાવાપીવાની પણ તકલીફ સાથે ભયના ઓથાર નીચે છે તેમને આપણા દેશમાં પરત લાવવાની સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. શ્રી ગોહિલે એ પણ માંગણી કરી છે કે, જે વ્યક્તિઓના યમન ખાતે મૃત્યુ થયા છે તે સાવ ગરીબ પરિવારમાં થી આવતા ક્રુ મેમ્બરો છે. તેમના જવાથી પરિવારમાં કમાનાર મુખ્ય મોભી જતા રહેલ છે માટે સરકારે તાત્કાલિક રીતે આ મુત્યુ પામેલા પરિવારોને આર્થિક મદદ કરવાની જરૂરિયાત છે. કોઈ પણ કારણ વગર બોમ્બમારાથી ગુજરાતીઓના જે જહાજોને તોડી પાડવામાં આવ્યા છે તે જહાજોનું પુરેપુરુ વળતર યમન સરકાર પાસેથી મેળવવા ભારત સરકારે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ અને હાલમાં તાત્કાલિક ભારત સરકારે આ જહાજોની વળતરની રકમ ચૂકવી આપવી જોઈએ.
યમન ખાતે ફસાયેલા ગુજરાતીઓના ફોટોઓ અને તેમજ યમન ખાતે જે જહાજોને સળગાવી નાખવામાં આવ્યા છે તેના ફોટાઓ તથા ગંભીર રીતે દાજી ગયેલા અને યમન ખાતે અત્યંત દયાજનક પરીસ્થિતમાં રહેલા ક્રુ મેમ્બરના ફોટા પ્રેસ અને મીડિયાને શ્રી ગોહિલે આપ્યા હતા.
ગુજરાત સરકારે પણ તાબડતોબ રીતે ભારત સરકાર પર ગુજરાતીઓને બચાવવા માટે દબાણ કરવા અને મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને ગુજરાત સરકાર પણ આર્થિક રીતે સહાય કરે તેવી માંગણી પણ શ્રી ગોહિલે કરી છે.
———————————————————————————————————–