Press Note Guj Dt:23/06/2013
અખબારી યાદી. તા.૨૩.૦૬.ર૦૧૩
કુદરતી આપત્તિના સમયે રાજકારણથી પર ઉઠીને માનવતાનું સંગઠિત કામ કરવાની ઉચ્ચ પ્રણાલિકા ગુજરાત અને આપણા દેશની રહી છે. આ પરંપરાને કલંકિત કરવાનું પાપ ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું છે. તેનાથી ગુજરાતની અસ્મિતાનું અપમાન થયું છે. કોંગ્રેસના મુખ્યમંત્રીઓ કુદરતી આપત્તિના સમયે તાત્કાલિક ઉત્તરાખંડ પહોંચી ગયા હતા અને કરોડો રૂપિયાની માતબર રકમ સહાય પેટે જાહેર કરી હતી. ગુજરાતને બાદ કરતાં મોટાભાગની સરકારોએ પોતાના રાજ્યોના ઉત્તરાખંડમાં ફસાયેલા યાત્રિકોને મદદ કરવા કોઈપણ જાતની પબ્લિસીટી વગર તંત્ર ગોઠવી દીધું છે. સૌથી છેલ્લે ગુજરાતના મુખ્યમંત્રી ઉત્તરાખંડ પહોંચ્યા અને પોતાના પ્રધાનમંત્રીના ખુરસીના રાજકીય સપનાઓને કુદરતી મુશ્કેલીમાં પણ છુપાવી ન શક્યા. મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરનાર ગુજરાતના મુખ્યમંત્રીએ માત્ર બે કરોડની જ મદદની જાહેરાત કરી છે, જ્યારે અન્ય રાજ્યોએ દસ ગણાથી લઈને વીસ ગણી વધારે સહાય જાહેર કરી છે.
અનેક રાજ્યોએ પોતાના રાજ્યના અસરગ્રસ્ત લોકોને ઉત્તરાખંડમાં મદદરૂપ બનવા અને પરત લાવવા સુદૃઢ વ્યવસ્થાતંત્ર ગોઠવેલ છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પબ્લિસીટી સ્ટંટ અને વાણીવિલાસ જ કર્યો છે. ભાવનગર, વડોદરા અને અમદાવાદ સહિત અનેક સ્થળોથી ગુજરાતના ઉત્તરાખંડમાં ફસાયેલા વ્યક્તિઓના પરિવારજનોએ મદદરૂપ બનવા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાં ઈ-મેઈલ તથા ફેક્સ કર્યા છે, તેનો કોઈ જ પ્રત્યુત્તર પરિવારજનોને મળ્યો નથી. બદ્રીનાથ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં ૨૪૦ જેટલા ગુજરાતીઓ આશ્રય લઈને બેઠા છે, તેમને મંદિર સુધી સલામત સ્થળે પહોંચાડવાનું ઉત્તરાખંડ સરકાર અને ભારતીય સેનાએ પ્રશંસનીય કામ કર્યું છે, પરંતુ આ મંદિરના સ્વામીશ્રીએ ગુજરાત સરકારના મુખ્યમંત્રીના કાર્યાલયમાં વારંવાર ત્રણ દિવસથી વિનંતી કરી હોવા છતાં યાત્રિકોને પરત લાવવા કોઈ જ વ્યવસ્થા ગુજરાત સરકારે કરી નથી.
ગુજરાતમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટેની દસ વર્ષમાં માત્ર બે જ બેઠકો મળી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટેના ખર્ચાઓને કેગના ઓડીટ અહેવાલમાંથી પણ બહાર રાખવામાં આવેલ છે. સુરતમાં પ્રવર્તમાન સરકારના પાપે જ માનવસર્જિત હોનારત થઈ હતી. આમ છતાં, ગુજરાતના મુખ્યમંત્રી જાણે કુદરતને પણ કબજામાં રાખીને બેઠા હોય તેવી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે.
ગુજરાતમાં ધરતીકંપ આવ્યો ત્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં બંને જગ્યાએ ભાજપની સરકાર હતી. દેશના કોંગ્રેસશાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ કચ્છના ગુજરાતીઓની મદદે કરોડો રૂપિયાની સહાય લઈને પહોંચ્યા હતા. અનેક ગામો કોંગ્રેસશાસિત રાજ્યોએ કચ્છમાં દત્તક લીધા હતા. કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી ધરતીકંપ પછીના આફટરશોક્સમાં ધરતી ધ્રુજતી હતી ત્યારે સતત ત્રણ દિવસ તંબુમાં રહીને કચ્છના પીડિત લોકોની વચ્ચે રહ્યા હતા. રાષ્ટ્રીય નેતાશ્રી અહમદભાઈ પટેલે ૧૭ દિવસ સુધી કચ્છમાં તંબુમાં રહીને કચ્છના લોકો માટે રાહતની કામગીરી જાતદેખરેખ નીચે કરાવી હતી. આ બધું જ કરવા છતાં કચ્છની કુદરતી આફતના સમયે કોંગ્રેસના કોઈપણ મુખ્યમંત્રીએ કે નેતાએ રાજકીય નિવેદન કે રાજકારણ લેશમાત્ર કર્યું નહોતું.
દેશની સુરક્ષાને નુકસાન થાય તે રીતે ગુજરાતના મુખ્યમંત્રીએ આજે પઠાણકોટ ખાતે વાણીવિલાસ કર્યો હતો. સુરક્ષાના નામે દેશની વાતો કરનારા ગુજરાતના મુખ્યમંત્રીના રાજ્યમાં ગુજરાતીઓ જ સુરક્ષિત રહ્યા નથી. પોતાના મતબેંકના રાજકારણ માટે પોતાના દ્વારા જ પુરસ્કૃત કોમી તોફાનો કરાવીને અનેક હિન્દુ અને મુસલમાનને મોતને ઘાટ ઉતારનાર કયા મોઢે દેશની સુરક્ષાની વાતો કરે છે ? ગુજરાતમાં પોતાના માટે સહાનુભૂતિનું મોજું ઉભું થાય તે માટે અનેક હિન્દુ અને મુસ્લિમોને નકલી એન્કાઉન્ટરમાં મરાવી નાંખવાનું કામ ગુજરાતના મુખ્યમંત્રીએ જ કર્યું હતું. આજે મુખ્યમંત્રીના આ કાવતરાનો હાથો બનનારા અનેક પોલીસ અધિકારીઓ જેલમાં છે. દેશને સુરક્ષા આપવાની વાત કરનાર ગુજરાતના મુખ્યમંત્રી પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતા અને માજી મંત્રી શ્રી હરેન પંડયા કે જેમનો સમગ્ર પરિવાર આર.એસ.એસ.નું ચુસ્ત બેકગ્રાઉન્ડ ધરાવે છે તેમને સુરક્ષા આપી શક્યા નથી. એટલું જ નહીં, પરંતુ સ્વ. હરેન પંડયાના પિતાશ્રીએ કહ્યું કે, ‘‘મારા દીકરાને મારનારની પાછળ મુખ્ય સૂત્રધાર ગુજરાતના જ મુખ્યમંત્રી છે.” બહાર જઈને ‘‘ગુજરાતનો ખેડૂત દર વર્ષે નવી મારૂતિ લે છે” તેવું જૂઠ્ઠાણું ફેલાવનાર ગુજરાતના મુખ્યમંત્રીના રાજ્યમાં સરકારની સહાયથી વંચિત ખેડૂત આત્મહત્યા કરે છે અને ખેડૂતની મા રોતી હોય તેના આંસુ લૂછવાનો મુખ્યમંત્રીને સમય નથી. માનવ સૂચકાંકમાં ગુજરાત છેવાડે પહોંચ્યું છે. માત્ર માનીતાઓનો વિકાસ થયો છે અને આમ ગુજરાતી દુઃખી છે. ગુજરાતના મુખ્યમંત્રીના આંકડાઓ નકલી છે, વિકાસનું મોડેલ નકલી છે અને ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરો પણ નકલી છે.
—————————————————————————————-