Press Note _ 13.03.2026 _ શક્તિસિંહ ગોહિલે સંસદમાં મોદી સરકારના ‘ખેડૂત વિરોધી અને ગામ વિરોધી’ એજન્ડાનો પર્દાફાશ કર્યો
અખબારીયાદી તા.૧૩–૩–૨૦૨૬
સંસદ(રાજ્યસભા)માં ગ્રામીણ વિકાસ વિભાગ પર બોલતાં ગુજરાતના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનો છે અને મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાનો પવિત્ર દિવસ પણ છે ત્યારે મહાત્મા ગાંધીજીને યાદ કરીએ તો મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું કે દેશનો આત્મા ગામડાઓમાં વસે છે. આ સત્ય હકીકત છે કે આજેપણ ભારતની ૬૮% વસ્તી ગામડાઓમાં વસે છે અને ગ્રામીણ વિકાસ એ અતિશય મહત્વનો છે. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારમાં વડાપ્રધાનશ્રી મનમોહનસિંહજી અને યુપીએના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીજીએ ખૂબ જ પરામર્શ અને વિચાર મંથન બાદ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી શકાય તેવો મનરેગાનો કાયદો લાવીને ગામડાઓમાં દરેકને કામ કરવાનો અધિકાર પ્રાપ્ત કરતો કાયદો આપ્યો હતો. મનરેગાના કારણે ગ્રામીણ વિકાસના અર્થતંત્રમાં જબરદસ્ત અને એક સકારાત્મક સુધારો થયો હતો. મહાત્મા ગાંધીજીની હત્યા કરનારાની વિચારધારામાં માનનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મનરેગાના કાયદાને બદલાવી નાંખીને જે રીતે નવો કાયદો આપ્યો છે તે માત્રને માત્ર ગામડાઓના અર્થતંત્રને નુકસાન કરનારો છે. ૮૬,૦૦૦ કરોડ રૂપિયા ગયા વર્ષે મનરેગાના માધ્યમથી ગ્રામીણ વિસ્તારને મળ્યા હતા તે રકમ હવે નહીંવત બનીને રહેવાની છે. રાજ્યો પાસે મનરેગા માટે આપવાની સહાય સ્વાભાવિક રીતે ઉપલબ્ધ નથી થવાની. કેન્દ્રની જ આ યોજના અને કેન્દ્ર જ પૂરેપૂરા પૈસા ભૂતકાળમાં આપતી હતી તેને ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણપણે નકારાત્મક દિશામાં ફેરવેલ છે. ભગવાન શ્રીરામનું નામ મોક્ષની પ્રાપ્તિ માટે તમામ હિન્દુ લેતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રામનું નામ મોક્ષની પ્રાપ્તિ માટે નહીં પરંતુ મતોની પ્રાપ્તિ માટે જ લે છે અને સ્વાર્થ માટે જ રામના નામનો ઉપયોગ કરે છે. મનરેગાના બદલે અપાયેલ નવા કાયદામાં રામનું નામ જોડેલું છે પરંતુ જેમ માણસ મૃત્યુ પામે અને ત્યારે રામ બોલો ભાઈ રામ કહેતા-કહેતા સ્મશાને મુકવા જતા હોઈએ છીએ તે જ રીતે આ મનરેગાનું રામ બોલો ભાઈ રામ ભારતીય જનતા પાર્ટીએ કરાવેલું છે.
મનરેગામાં ભાજપના જ મોટા માથાઓએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે તેની તપાસ કરવાની કે તેને જેલમાં મોકલવાની કોઈ જ દરકાર ભારતીય જનતા પાર્ટીએ કરી નથી અને ખુલ્લેઆમ કરોડો રૂપિયા ખવાયા છે. એક દાખલો જોઈએ તો ગુજરાતના દાહોદ જિલ્લાના પીપેરો ગામમાં એક જ સર્વે નંબરમાં પહેલા તળાવ, તળાવમાં પછી પાછું વૃક્ષારોપણ, વૃક્ષારોપણ પછી પાછું એ જ જમીનને લેવલીંગ કરવાનું અને પછી એ જ જમીનમાં નહેર કાઢવાની આવા કાગળ ઉપરના કામો બતાવીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના સ્પષ્ટ પુરાવાઓ ભાજપના જ મિનિસ્ટર સામે આવેલા છે. જો ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારને રોકવા જ માંગતી હોય તો કોર્ટ દ્વારા મોનીટરીંગવાળી સીબીઆઈની તપાસની માંગણી શ્રી ગોહિલે કરી હતી.
ગ્રામીણ વિકાસ માટે બજેટમાં મોટી રકમ ફળવાયાની વાતો કર્યા બાદ થોડા મહિનામાં જ બજેટના આંકડાઓને રિવાઈઝડ બજેટ તરીકે નક્કી કરીને જે રકમ ઘટાડવામાં આવી છે તે ગ્રામીણ વિસ્તારને ખૂબ જ નુકસાનકારક છે. સરકારના જ બજેટ એટ ગ્લાન્સના પુસ્તકને સંસદમાં રજૂ કરીને શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, પીવાના પાણીની યોજના માટે બજેટના અંદાજ કરતાં રિવાઈઝડ બજેટમાં રૂ. ૧૭,૦૦૦ કરોડનો કાપ મૂકીને પીવાના પાણી માટે લોકોને ગ્રામીણ વિસ્તારમાં નુકસાન કર્યું છે. એ જ રીતે ગ્રામ સ્વરાજ અભિયાનમાં
રૂ. ૮૫૦ કરોડ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂ. ૨૨,૦૦૦ કરોડ અને અનુસૂચિત જનજાતિના કાર્યક્રમમાં
રૂ. ૧,૫૮૦ કરોડ જ્યારે મિશન વાત્સલ્યમાં રૂ. ૬૦૦ કરોડનો કાપ મૂકીને સીધો મરણતોલ ફટકો ભારતીય જનતા પાર્ટીની સરકારે ગ્રામીણ વિસ્તાર ઉપર મારેલો છે. તાજેતરમાં જ આવેલા આંકડાઓમાં સ્પષ્ટ છે કે, ગુજરાતમાં સગર્ભા મહિલાઓમાં ૬૮% સ્ત્રીઓ એનીમિયાથી પીડાય છે જ્યારે કિશોરીઓમાં એનિમિયાનું
પ્રમાણ ૬૦% છે. શ્રી ગોહિલે ભારત સરકારે તાજેતરમાં જ ૧૦ માર્ચના પ્રશ્નમાં આપેલા જવાબને ટાંકીને આ વાત કરી હતી.
ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગોને ખાસ કરીને ગૌતમ અદાણીનું નામ લઈને કહીએ તો ગૌચર અને ખેડૂતોની બેફામ જમીનો આપી દેવામાં આવેલી છે અને તેનાથી ઉદ્યોગપતિનો ફાયદો હોઈ શકે પરંતુ ગામડાનું ખૂબ મોટું નુકસાન થયું છે. “एक और गाँव के खेत अडाणी के उद्योगों ने निगल लिए, एक और गाँव शहर की वसीहत में खो गया ।”
શ્રી ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના મિત્ર ગૌતમ અદાણીને ખેડુતો અને માલધારીઓના ભોગે ખૂબ લાભ આપવામાં આવે છે પરંતુ પશુપાલન અને ખેતી જો નહીં ટકે તો કોઈ ઉદ્યોગપતિ લોકોની ભુખ મટાડી શકે તેવા અનાજ કે દૂધને પેદા નહીં કરી શકાય. ભારતને બળવત્તર બનાવવા માટે ગામડાઓ બળવત્તર બને એ અત્યંત આવશ્યક છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને મધ્યપ્રદેશમાં મામા તરીકે ઓળખવામાં આવે છે તેને ટાંકીને શ્રી ગોહિલે કહ્યું હતું કે, આપ મામા સાચા અર્થના મદદગાર ગ્રામીણ લોકો માટે બનો, બાકી આ રીતે કૃષ્ણના મામા કંસ કે પાંડવોના મામા શકુનિ બનવાથી કોઈને ફાયદો થવાનો નથી.