Close

May 4, 2020

Press Note Dt: 04/05/2020

Press Note Guj 04.05.2020

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

અખબારીયાદી                                                                      તા. ૦૪.૦૫.૨૦૨૦

સુરત ખાતે રત્નકલાકાર ભાઈઓ કે એમ્બ્રોઇડરીમાં કામ કરનારા કારીગરો તેમજ નાના મોટા ધંધાર્થે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી આવેલા હજારો લોકો સંપૂર્ણ રોજગારી વગર અને અનેક મુશ્કેલીઓમાં સપડાયેલા છે. સુરતમાંથી આ ભાઈઓને પોતપોતાના વતનમાં જઈ શકાય તે માટે તાત્કાલિક સેનિટાઈઝ કરેલી બસોની મુફ્ત વ્યવસ્થા સરકાર પૂરી પાડે તેવો અનુરોધ છે. હાલમાં ઓનલાઈન અરજી કરવાનું કહેવામાં આવે છે પરંતુ ઓનલાઈન સાઈટ પર કાં તો અરજી દાખલ થતી નથી અને જો દાખલ થાય તો પણ કોઈના પાસ બનતા નથી અને પરિણામે નાની નાની રૂમોમાં અનેક લોકોએ યાતનાઓ સાથે અને એક પણ પૈસાની આમદાની વગર ભરાઈ રહેવું પડ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પોતના વતન જવા ઈચ્છનાર લોકોને જવા માટેની સરળ અને સીધી વ્યવસ્થા પાસની ગોઠવાય તેમજ મુફ્તમાં તેમને સેનિટાઈઝ કરેલી બસોની વ્યવસ્થા થાય તે અત્યંત આવશ્યક છે. બસમાં બેસતી વખતે જ મુસાફરી કરનાર વ્યક્તિનું સંપુર્ણ આરોગ્ય ચેકઅપ સરકાર દ્વારા જ કરવામાં આવે કે જેથી કરીને કોરોના વાયરસ અન્ય જગ્યાએ ના ફેલાય. આજ રીતે ગુજરાતના અન્ય  જીલ્લાઓમાં નાના મોટા કામ માટે ગયેલા એકલ દોકલ વ્યક્તિઓ અને કૃષિ સાથે સંકળાયેલા પ્રવાસી મજદૂરો અટવાયેલા છે જેમને પણ પાસ માટેની વ્યવસ્થામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા વ્યક્તિઓનું પણ મેડિકલ ચેકઅપ થાય અને પાસ માટેની જટિલ વ્યવસ્થાના બદલે સરળ વ્યવસ્થાથી સરળતાથી પાસ ઉપલબ્ધ થાય તે માટેની સરકાર તાત્કાલિક વ્યવસ્થા કરે તેવો અનુરોધ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કરેલો છે.  

————————————————————————————–